Book: Abhilekh 2024 (અભિલેખ 2024)

Index

<<

>>

6. ખુલ્લા પત્રનું અવલોકન - ભાગ 2 - વર્ષ 1922

જ્ઞાતિ ભાઈઓના હિતાર્થે બહાર પડે છે !

હિન્દુધર્મના નામે ચાલતા

પીરાણા ધર્મની પોલ

 

એ નામનું પુસ્તક અમારા તરફથી બહાર પાડવામાં આવનાર છે. સનાતન હિન્દુ પ્રજાને પોતાનો ધર્મ તજી દેવરાવી પીરાણા ધર્મમાં વાળવા માટે અને પીરાણા ધર્મ મુસલમાની ધર્મ જેવો નથી એવું દેખાડવા માટે તે ધર્મના અધ્યાપકો, ધર્મગુરૂઓ, કાકાઓ અને નેતાઓએ હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ રીતે મનાતા અવતારો, મહાપુરૂષો અને દેવદેવીઓને પોતાના પંથમાં ઘુસાડી તેમના નામે અનેક પ્રકારના ગપગોળા અને ખોટી વાતો ફેલાવી છે અને તેમ કરીને સદરહુ ધર્મના પ્રસિદ્ધ અપ્રસિદ્ધ પુસ્તકો, પાઠો અને વ્યાખ્યાનોમાં હિન્દુ ધર્મમાં મનાતી, પવિત્ર વ્યક્તિઓને ઉદ્દેશીને એવી તો અપવિત્ર અને અઘટિત રીતે વર્ણવામાં આવી છે કે જે સાંભળીને કોઈપણ હિન્દુ ભાઈનું હૃદય દ્રવિત થયા સિવાય રહે જ નહિ.

કચ્છ દેશમાં અને તેમાં પણ જે જ્ઞાતિમાં મારો જન્મ થયો છે ત્યાં આ ધર્મની પોલ ચલાવી પીરાણા ધર્મના ઉપાધ્યાયો સેંકડો વર્ષોથી દર વર્ષે હજારો રૂપિયા લુંટી ખાય છે એટલું જ નહિ પણ આડકતરી રીતે આગેવાનો મારફત જ્ઞાતિમાં ત્રાસ વર્તાવી ગરીબ વર્ગ પાસેથી પણ દર વર્ષે પૈસા કઢાવાનો ઉદ્યોગ ચલાવતા આવ્યા છે અને અમારી શુદ્ધ ક્ષત્રિય વર્ણને ન તો હિન્દુ ન મુસલમાન એવી અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ સ્થિતિમાં ડુબાવી રાખવાનો પ્રયાસ કરે છે જેના ભયંકર પરિણામોએ અમારા જીવન ઉપર અસર કરી અમારી જ્ઞાતિને દુઃખદાયક સ્થિતિમાં લાવી મુકી છે. અનેક જગ્યાએ અમારી માફક જ અન્ય જ્ઞાતિઓની સ્થિતિ પણ આ પીરાણા ધર્મે કરી મુકી છે જે ઉપરથી આવું પુસ્તક બહાર પાડવાની કેટલી આવશ્યકતા છે તો તો જેમણે પીરાણા ધર્મ સંબંધે કાંઈપણ જાણ્યું હશે તેને સમજાયા સિવાય રહેશે નહિ.

આ પુસ્તકમાં પીરાણા ધર્મની ઉત્પત્તિ તથા તે ધર્મની રીતે જન્મથી મરણ પર્યંત તેના અનુયાયીઓ માટે કરવામાં આવતી ક્રિયાઓ, ઈમામશાહનો વંશ, ઘટપાટની ક્રિયાઓ અને એલમો તેમજ કલમાઓમાં આર્ય વ્યક્તિઓને ઘુસેડી હિન્દુ ભાઈઓને ઉંધે રસ્તે દોરી પોતાના પંથમાં વટલાવવા માટે તેના અધ્યાપકોએ જે જે નીચ યુક્તિઓ રચી છે તેનું યથાર્થ વર્ણન આપી અમારા હિન્દુ ભાઈઓને તેની પોલ સ્પષ્ટ રીતે સમજાય તેવા દરેક પ્રયત્ન કરવામાં આવ્યાથી આ પુસ્તક એક અત્યુપયોગી થઈ પડવાનો સંભવ છે.

કચ્છ દેશમાં નેત્રા ગામના એક કેશરા પટેલ કે જેમણે પીરાણા ધર્મને છોડી સ્વામીનારાયણ પંથનો સ્વીકાર કર્યો હતો તેમને વટલાવી પોતાના ધર્મમાં જ રાખવા ખાતર પીરાણા ધર્મને માનનારા વર્ગે જે જુલમ અને ત્રાસ વર્તાવ્યો હતો તેનો હૃદયભેદક પ્રસિદ્ધ બનાવ પણ આ પુસ્તકમાં યોગ્ય સ્થળે આવશે. પુસ્તક સંબંધી બીજી માહિતી નીચેના ઠેકાણેથી મળશે.                                                    

લેખક — નારાયણજી રામજીભાઈ કોન્ટ્રાક્ટર

ઠે. ઉમરશી રાયશીના કમ્પાઉન્ડમાં,

ઘાટકોપર— (Thana)

કચ્છ કડવા પાટીદાર ભાઈઓને

કરાંચી કડવા પાટીદાર ભાઈઓ તરફથી

મોકલવામાં આવેલા

 

ખુલ્લા પત્રનું અવલોકન

ભાગ—૨ જો

 

૧. કચ્છ નિવાસી કરાંચીમાં રહેતા કડવા પાટીદાર ભાઈઓએ કચ્છમાં રહેતા કણબી આગેવાનોને જણાવ્યું છે કે — “આગેવાનોના વચન પ્રમાણે લેખ લખવાનું અમે મુલત્વી રાખ્યું છે, આગેવાનો જ્ઞાતિમાં સુધારો કરે તો કરાંચીવાસી ભાઈઓ લેખ ન લખે” પરંતુ આગેવાનોએ સુધારો કર્યાનું કાંઈ જણાતું નથી એટલે સુધારક ભાઈઓને લેખ લખવાની જરૂર જણાઈ છે. કરાંચી નિવાસી ભાઈઓને હું પુછું છું કે તમે આગેવાનોની વિનંતી ઉપરથી છ સાત માસ થયાં છાપાં બંધ કર્યાં છતાં તમારી નજરે જ અંધશ્રદ્ધાળુ ભાઈઓ સૈયદોને તો તેડાવતા જ રહ્યા અને તે પણ ખુદ કરાંચીમાં જ ! ત્યારે હવે ખુલ્લો પત્ર બહાર પાડ્યા પછી કદાચ દેશના આગેવાનો તમારી વિનંતી ન સાંભળે તો તમે શું કરવા ધારો છો? સૈયદોની તમારે જરૂર નથી પરંતુ આગેવાનોને પીરાણાના કબ્રસ્તાની અર્ધદગ્ધ પંથની જરૂર તો છે જ ! અને પીરાણાના નામ સાથે જ સૈયદો તો નિર્માણ થયેલા છે જ. કદાચ આગેવાનો અથવા અભણ અંધશ્રદ્ધાળુ ભાઈઓ સૈયદોનો સંગ ન જ છોડે તો તમે કરાંચીમાં વસતા ખેડોઈથી તે લખપત સુધીના તમામ ગામના ઓછા વધતા ભાઈઓ તો સૈયદોનો સંગ છોડવા અને બીજા ભાઈઓને તેમનો સંગ છોડાવા તૈયાર છો ખરા?

૨. કરાંચીમાં કણબી ભાઈઓ સૈયદોને તેડાવે છે તેમાં તમને દિલગીરી ઉપરાંત બીજું પણ થતું હશે. સૈયદોના નામથી દિલગીરી થાય છે કારણ સૈયદોએ તમને અર્ધદગ્ધ પંથમાં હિન્દુ મટાડી દેવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર પીરાણા ધર્મનો બોધ કરી જેમણે તમારામાં હિન્દુ ધર્મના તત્ત્વો જ રહેવા દીધાં નથી — માત્ર તમે પોતાના મનથી જ હિન્દુ હોવાનું માની લીધું છે — હિન્દુ ધર્મને બોળી નાંખનારા પીરાણા ધર્મના ક્રિયા કર્મ તો હજુ કરો છો તે જોઈને, જાણીને અને પીરાણા ધર્મને માર્ગે જતાં તમને શું થાય છે એ કેમ કહેતા નથી? દિલગિરિથી તો જરૂર કંઈક વધારે જ થવું જોઈએ, પણ શું થાય છે તમે જ કહો જરૂર કહો.

૩. હું કરાંચી નિવાસી જ્ઞાતિ સુધારક ભાઈઓને પુછું છું કે એક તરફથી તો કડવા પાટીદાર જ્ઞાતિમાં ખપવું છે છતાં “સૈયદોની શું હજુ આપણી જ્ઞાતિમાં જરૂર છે?” એવો વિનય ભર્યો પ્રશ્ન કરવાથી તમારા એ ખુલ્લા પત્ર વડે સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિમાં કેવી અસર થાય તેની તમે કલ્પના કરી શકો છો? કડવા પાટીદાર જ્ઞાતિના ધર્મ અને રહેણીકરણી સાથે તમારે કઈ કઈ વાતે નિસ્બત છે તેનો તમને કંઈ પણ ખ્યાલ આવે છે?

૪. વળી હું એ પણ પુછું છું કે પીરાણાની ઈમામશાહની ગાદી કોના બાપની? શું તમે અથવા કચ્છના આગેવાનો કિંવા પીરાણાના કાકાઓ ઈમામશાહના વંશ જ છો? કે કડવા પાટીદાર છો? શું એ વાત તમે નથી જાણતા કે તમારા દેશ બંધુઓને ગુલામીમાં રાખવા આજે વિદેશી સરકાર હિન્દુસ્તાન દેશના વતનીઓને નાના મોટા પ્રકારના હોદ્દાઓ એટલે ગાદીઓ આપે છે તેથી આ દેશની પ્રજા શું એમ કહી શકે છે કે અમે એ હોદ્દા અને ગાદીના માલિક છીએ ! આ દેશના વતની હોદ્દેદારો અને પીરાણાના કાકાઓની સ્થિતિમાં કેટલું અંતર છે એનો વિચાર કરશો. આપણી જ્ઞાતિના આગેવાનો પીરાણાની ગાદીના માલિક થાય તેમાં શું હજુ તમે કડવા પાટીદાર જ્ઞાતિની ઈજ્જત સમજો છો? તમને શું હજી ઈમામશાહની કબરનો લોભ છે? પીરાણાના અર્ધદગ્ધ પંથ અને ઈમામશાહની ગાદીનો હજી તમને લોભ જરૂર દેખાય છે ! કારણ કે તમારા ખુલ્લા પત્રમાં દયાળુ આગેવાનોની જતી સત્તા અને લખમણ કાકાની જતી ગાદીની બળતરા તમે મોટા અક્ષરે કોતરી કાઢી છે ! અફસોસ,

૫. કરાંચીથી લખાયેલા એક ખુલ્લા પત્રના લેખક અને જ્ઞાતિ સુધારક ભાઈઓ શું તમે કચ્છના કડવા પાટીદાર ઈમામશાહની ગાદી, તેનો રોજો અને તેની મિલકતના તમે માલિક ! શું આ નફ્ફટાઈ ભરેલી વાત તમારું હૃદય કબુલ કરે છે ખરું? સૈયદોએ નોટીસો કહાડી જાહેર કર્યું કે પીરાણાની જગ્યા અને તેની મિલકત સૈયદોના બાપની છે એમાં બીજા કોઈનો હક્ક નથી. તેમની એ જાહેરાતથી તેમણે ઢોંગ કર્યો છે એવું જો તમને દેખાતું હોય તો પછી પીરાણાની અને ઈમામશાહની મિલકતના તમે કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિના આગેવાનો માલિક હોવાની વાત જગત્‌ની  દૃષ્ટિએ કેવી દેખાય એનો તમોએ કોઈ દિવસ ખ્યાલ કર્યો છે? ઈમામશાહના વંશના જ સૈયદો પોતાના બાપ દાદાની જે મિલકત છે તેના તે માલિક છે અને તે વ્યાજબી રીતે કહે કે અમે અમારા બાપની મિલકતના માલિક છીએ તો તે સૈયદો તમારી નજરે ઢોંગીઓ ગણાય ? કે જ્યારે તમે કચ્છના કહેવાતા કડવા પાટીદારો કલમાઓ પઢો, કબરોને માનો, રાંધેલું અનાજ સ્મશાનમાં લઈ જઈ ખાઓ અને મરણ વખતે દટાઓ, પરણતી વખતે ધોઆ પડો, ઈમામશાહને બાવા કહીને વંદો, તેના પરિવાર સૈયદોને ગુરૂ અથવા ગોર કહીને પુજો છતાં તમે કડવા પાટીદાર હિન્દુ છો એવું આ જાગતા જમાનામાં કહેવડાવો એ તો કોઈ પ્રકારનો ઢોંગ જ નહીં હોય કેમ?

૬. જ્ઞાતિ સુધારક ભાઈઓ ! હું આપને કહું છું કે લાંબા વખતના સૈયદો સાથેનો ભેળીશાળાથી તમારી જાત અને સૈયદોમાં કદાચ તમને તફાવત ન જણાતો હોય તો એ દોષ સૈયદોનો તો નથી જ, કારણ કે તમારા જ ભાઈઓ, સૈયદોને પૂજે છે અને સૈયદોને તેડાવે છે જેની તમે ફરિયાદ કરવા નીકળ્યા છો એ દોષ સૈયદોના ખાસ અનુયાયીઓનો જ છે અને પીરાણાની ગાદીનો લોભ હજી જેને હોય તેનો દોષ તો પૂરેપૂરો છે જ.

૭. ખુલ્લા પત્રમાં આપે આગેવાનોને લખ્યું છે કે બે ચારેક સૈયદોના મુડેલાઓ કહેવાતા હોય તેમને સમજાવો અને સૈયદોને આપણી જ્ઞાતિમાં આવતા બંધ કરો — સુધારક ભાઈઓ ! હું કહું છું કે સૈયદોના મુંડેલા તે તમારા જ માંહેના કે બીજા કોઈ છે? તમે એમની સાથે ખાવા પીવાનો અને બીજી રીતનો વહેવાર શું નથી રાખતા? અને રાખતા હો તો તમે પણ મુંડેલા જ ગણાઓ કે બીજા કોઈ? અને એવો સંબંધ તેમની સાથે તમારે ન હોય તો સૈયદો ગમે તેને મુંડે એની તમારે શી પંચાત? આંખ ઉઘાડવાની હવે કોને છે? જેઓ મુંડાએલા છે એમને કે પછી મુંડાઈ જવાની અને હિન્દુપણું રાખવાની જેને ચિંતા હોય તેમને? સૈયદો આવતા બંધ થાય તો ઠીક એમ તમને લાગે છે પણ તમે એમના ઘેર એટલે પીરાણાના રોજે જવાનું અને કલમાઓ પઢવાનું બંધ કરવા તૈયાર છો કે પછી સૈયદોના બાપદાદાની ગાદીના જ માલિક થવાની હજી ઉમેદ છે?

૮. તમારા લેખથી સમજાય છે કે સૈયદો જે બોધ કરે છે તે ખુલ્લા પત્રોમાં કહેતાં તમને શરમ થાય છે તેનું કારણ બીજી હિન્દુ જ્ઞાતિમાં ફજેતી થઈ રહી છે એજ હશે. “હૈયે તેવું હોઠે !” અસ્તુ. સૈયદો કરાંચીમાં જે ખુલ્લો બોધ કરે છે તે સામે જ માત્ર તમે વાંધો જણાવ્યો છે, જો ખાનગીમાં સૈયદો બોધ કરતા હોત તો કદાચ તમે વાંધો લેત નહિ ! મારા વહાલા બંધુઓ ! હું તમને એ પુછું છું કે જે વાત આપણે માનતા હોઈએ, જેના આપણે અનુયાયી હોઈએ તે વાતનું જે રહસ્ય કે તત્ત્વ હોય એનો ખુલ્લો બોધ કરવામાં અડચણ શી? એમાં જો ફજેતી થતી હોય કે હિન્દુપણામાંથી ટળી જવાનો તમને ભય રહેતો હોય તો એ વાતને અંતઃકરણથી તજી જ દેવી જોઈએ, બીજાની રાહ શા માટે જોવી? અંતઃકરણ કહે તેમજ સૈયદોના મુંડેલા કરે તે તમારા મનથી અભણ કે? “ઉપરકી અચ્છી ઔર ભીતરકી શાહપીર જાણે” એવો ડોળ ઘાલુ અભણ? અંધશ્રદ્ધાળુ કોણ? જેને ધર્મ અધર્મ સમજવાનું જ્ઞાન નથી અને એકજ માર્ગે ચાલ્યા જાય તે કે પછી જે પંથમાં અધર્મ સમજાયા છતાં પણ અધર્મને જ વળગી રહેવાની જે ઈચ્છા રાખે તે? ઈમામશાહની જાગીર, તેની મિલકત અને ગાદીના વંશવારસ સૈયદો પૈસા કઢાવવાની ખાતર તમને ઘડીભર મોટા બનાવી દે અને બેસવા માટે રૂની ભરેલી ગાદી તકીયો આપે તેમાં તમે એવી આશા રાખો કે ગાદીના અમે માલિક છીએ ! તો એ આશા કે શ્રદ્ધા કેવા પ્રકારની? આંધળી કે દેખતી? એજ ગાદીને અને તમારે કાંઈ લાગતું વળગતું નથી એમ કહી સૈયદો તમને તુચ્છકારી કાઢે છતાં તેમાં મોહ અને લોભ રાખવો તેમજ બીજી અન્ય હિન્દુ જ્ઞાતિઓમાં ફતેજ થવાય છતાં પણ ચીલે ચીલે ચાલવાની ભ્રમણામાં ડુબી ભ્રષ્ટ થતા જવાય તો પણ આંખ ઉઘાડવી જ નહિ એ કેટલી મુર્ખતા ભરેલી અંધશ્રદ્ધા ગણાય?

૯. આપે આગેવાનોને વિનંતી કરવામાં જણાવ્યું કે “સૈયદોના સંગથી બચાવો નહિ તો હવે થોડો ઘણો તેઓમાં હિન્દુનો જે અંશ રહ્યો છે તે પણ રહેવો મુશ્કેલ છે.” સુધારક ભાઈઓ ! થોડો ઘણો હિન્દુનો અંશ એટલે શું? એ તો જરા સમજાવો ! બે આની, ચાર આની, આઠ આની, કેટલી આની મુસલમાન અને કેટલી આની હિન્દુ? એ અર્ધદગ્ધતાનું પ્રમાણ કેટલું? એક તરફથી કડવા પાટીદારમાં ખપવાનો લોભ મટે નહિ એટલે બીજી તરફથી થતી ફજેતી વિશેની અસહિષ્ણુતાનો ઉભરો આવી ગયો જેથી છેવટે તમારાથી લખાઈ જવાયું કે “થોડો ઘણો હિન્દુનો અંશ રહ્યો છે તે પણ જતો રહેશે” ખરેખર ! જ્ઞાતિમાં થોડો ઘણો હિન્દુપણાનો અંશ રહ્યો છે એવી હિંમત ભરેલી સત્ય કબુલાતના એકરાર માટે હું તો તમારા કરાંચીવાસી સુધારક યુવક મંડળને અંતઃકરણપૂર્વક ધન્યવાદ જ આપું છું.

૧૦. તમારા તરફના ખુલ્લા લેખમાં વળી આપ જણાવો છો કે ‘ભાઈઓ ! કરાંચીમાં સૈયદો અવારનવાર આવે જાય છે અને અનેક રીતે છડે ચોક અભડાવાની સૈયદો કોશિષો કરે છે’ પરંતુ ભાઈઓ ! એ વાતના દાખલા આપતાં આપના જેવા સુજ્ઞ સુધારક ભાઈઓની હિંમત ચાલી નથી એટલે મારા ધારવા પ્રમાણે કદાચ સૈયદો કરતાં પોતાના જ પક્ષનો દોષ વિશેષ ખરો. દરેક સમજુ માણસ એટલું તો જાણી શકે કે કોઈની ઈચ્છા વિરુદ્ધ કોઈ કોઈને અભડાવે કે વટલાવે તો પરિણામ શું આવે? એનો આપ સામાન્ય બુદ્ધિથી પણ વિચાર કરો તો સમજી શકાય એવી સાદી વાત છે, એટલે હવે તો એ વાતના પરિણામ ઉપર સુધારક યુવકોમાં નહીં અભડાવાની કેટલી જીજ્ઞાસા છે તે જણાઈ આવવી જોઈએ જ નહીં તો પછી એમની ટીકા કરનારમાં પણ હિન્દુપણાનું કેટલી આની પ્રમાણ છે એની ગણતરી થઈ જશે. પાટીદારપણાનું પ્રમાણ તો પીરાણા પંથના નામના ઈલ્કાબ સાથે જ ખતમ થનારું છે તેમાં વળી પીરાણામાં કાકાઓને પડતી અડચણો દૂર કરવાનો વિચાર સરખો પણ કરવાથી તો ખતમ જ થશે. પાટીદાર કે કડવા પાટીદારના નામે જો કરાંચી નિવાસી જ્ઞાતિ સુધારક યુવકો પોતાને ઓળખાવા માગતા હોય તો તેમણે પીરાણા આપણું છે, કાકાઓ ગાદીપતિ છે અને પીરાણાની જાગીર ઉપરની સત્તા કચ્છના કણબી આગેવાનો પાસે રહેવી જોઈએ એવો લોભ છોડી દેવાની મારી ખાસ તમને ભલામણ છે.

૧૧. સુધારક ભાઈઓના ખુલ્લા પત્રના તદ્દન છેલ્લા ભાગમાં આગેવાનોને નોટીસ આપી જણાવેલું છે કે ખુલ્લો પત્ર મળ્યા પછી એક મહિના દહાડામાં આગેવાનો સૈયદોને આવતા બંધ કરે અને પીરાણામાં કાકાઓને પડતી અડચણો દૂર નહિં કરે તો તમો સુધારક ભાઈઓ લેખ લખશો તેની જવાબદારી તમોએ આગેવાનો ઉપર મુકી છે. તમારા ખુલ્લા પત્રના જવાબમાં આગેવાનોએ કાંઈ કર્યું નથી જેથી હવે તમારે લેખ લખવાનો વખત તો ક્યારનોએ ભરાઈ ગયો છે પરંતુ કરાંચી નિવાસી જ્ઞાતિ સુધારકોમાં કડવા પાટીદારનું પાણી હજી કોઈ ઠેકાણે દેખાયું નથી ! જ્ઞાતિ સુધારક મારા પ્રિય ભાઈઓ ! જેને તમે ગેઢેરા કે આગેવાન સમજો છો અને જેને તમે કરગરીને વિનંતીઓ કરો છો એમના હૃદયને વાંચવાની હાલ તો તમે ભલે ભણેલામાં ખપતા સુધારક યુવકોને પ્રભુ સદ્‌બુદ્ધિ અને બળ આપે એવી ઉમેદથી તમારા ખુલ્લા પત્રના અવલોકનનો આ બીજો ભાગ હાલ અહીં સમાપ્ત કરું છું.

 

 

લી. જ્ઞાતિ સેવક

નારાયણજી રામજી વીરાણીવાળા

Leave a Reply